સરસ્વતી શિક્ષણમંદિર – શિશુરથ

આહવાન…

  • આપ શિક્ષણમંદિર (સંસ્કાર કેન્દ્ર) ને દત્તક લઈને સમાજના ગરીબ ઉપેક્ષિત બંધુ ભગીનીને શિક્ષણ આપી સમાજની સેવા કરી શકો છો.
  • આપ બે કલાકનો સમય ફાળવી એક શિક્ષણમંદિરને ચલાવવા માટે દત્તક લઈનેઆપના સમયનો ઉપયોગ કરી શકો છો.
  • ગ્રામીણ, વનવાસી, સરહદી, અગરિયા માટે જ્યાં પણ શિક્ષણની વ્યવસ્થા ન હોય ત્યાં શિક્ષણમંદિર દત્તક લઈને ઉદાર હાથે ફાળો આપી સમાજ પ્રત્યેનું ઋણ ચૂકવી શકો છો.
  • જે બાળકો કારખાના, લારીમાં, છુટક મજુરીકામ કરે છે, જે શિક્ષણથી વંચિત રહી જાય છે, તેના માટે શિક્ષણમંદીરની યોજના કરીને સમાજને સમરસ બનાવી શકો છો.
એક શિક્ષણમંદિરનો વાર્ષિક ખર્ચ (શિક્ષકના વેતન માટે) રૂ.૨૦,૦૦૦/-
એક શિક્ષણમંદિરનો વાર્ષિક વ્યવસ્થા ખર્ચ રૂ.૫,૦૦૦/-
કુલ ખર્ચ :- રૂ.૨૫,૦૦૦/-
આપના તરફથી મળેલું દાન ૮૦(જી) અન્વયે કરવેરામાં મુક્તિને પાત્ર ગણાશે.

 

કાર્યવિસ્તાર

વિદ્યાભારતી શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તન કરવાના ધ્યેય સાથે કાર્યરત એવું ૭૦ વર્ષથી ચાલતું બિનસરકારી દુનિયાનું મોટામાં મોટું શૈક્ષણિક સંગઠન છે.વર્તમાન સમયમાં ભારતભરમાં ૨૬ હજાર વિદ્યાલયો ચાલે છે. એ અંતર્ગત ગુજરાત પ્રદેશમાં શહેરી,નગરીય,ગ્રામીણ,વનવાસી,રણપ્રદેશ,સીમાવર્તી વિસ્તાર અને દરિયાઈ સીમા પર વિદ્યાભારતીનું શૈક્ષણિક કાર્ય તથા સેવા પ્રકલ્પ ચાલે છે. ૪૩૦ થી વધુ વિદ્યાલય અને ૧૦૦ જેટલા શિક્ષણમંદિર ચાલે છે. જેમાં ૧૦૦ થી વધુ આચાર્યો અને ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ વિદ્યાભારતી,ગુજરાત પ્રદેશ સાથે કાર્યરત છે.
ભારતની ૭૬ ટકા વસ્તી ગામડામાં વસે છે.દેશમાં સાત કરોડ વનવાસીઓ ગીરીકંદરાઓ,જંગલો અને સરહદી વિસ્તારમાં વસવાટ કરે છે. આ સમાજ   નિષ્કપટ, સેવાભાવ, સ્વાભિમાન, ત્યાગ,ભક્તિ,શૌર્ય અને પરાક્રમના ગુણોથી સંપન્ન હોય છે. દેશના રક્ષણ માટે ભુતકાળથી લઈને અત્યાર સુધી આ વિસ્તારમાં પ્રગટેલા પરાક્રમની ગાથાઓ ઈતિહાસની થાપણ છે.પરંતુ કાળક્રમે આપણા આ વિસ્તારને સેવા,શિક્ષણ અને લોભ લાલચથી ખ્રિસ્તી મિશનરીઓ મોટા પાયે ધર્મ પરિવર્તન કરી મુખ્ય પ્રવાહથી અલગ કરવાનું કાર્ય કરે છે. આ સમસ્યાનો ઉકેલ વિદ્યાભારતીએ એક પડકાર સ્વરૂપે સ્વીકાર્યો છે.
      ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો છે.૨૦૦૧ ની સાલમાં આવેલ ભૂકંપ સમયે આ વિસ્તારમાં કાર્યકર્તાઓ સંપર્કમાં દરેક ગામડે ગયા તો ધ્યાનમાં આવ્યું કે દરિયાકાંઠો અને સીમાવર્તી વિસ્તારમાં અતિ સંવેદનશીલ ગામો હતા. અહિન્દુ પદ્ધતિ પ્રમાણે રહેણીકરણી, પહેરવેશ, પૂજા-પદ્ધતિ અને લગ્ન જેવા પવિત્ર પ્રસંગો વિધર્મી પદ્ધતિથી થતાં. અમુક ગામોમાં રાષ્ટ્રીય તહેવારે થતું ધ્વજવંદન ક્યારેય થતું જ નહતું. વ્યસન અને અંધશ્રદ્ધાથી ભરપુર આ સમાજ હતો. આ ક્ષેત્રમાં સર્વે બાદ પરિવાર ક્ષેત્રના કાર્યકર્તાઓ મળી ‘લોકશિક્ષણ  સમિતિ’ ની રચના કરવામાં આવી અને ‘શીશુરથ પ્રકલ્પ’ શરૂ કરવામાં આવ્યો હતો.વર્તમાન સમયમાં સીમાવર્તી વિસ્તારમાં કેશવ છાત્રાલય કાર્યરત છે. જેમાં ૪ તાલુકાના ૨૨ ગામોમાંથી ૩૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
    વિદ્યાભારતીનો ઉદેશ્ય પ્રાંતના વિવિધ ભાગોમાં શિક્ષણમંદિરો શરૂ કરી વિદ્યાર્થીઓ કે જે ભારતના ભાવી નાગરિકો બનવાના છે તેમનો શારીરિક, પ્રાણિક , માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે પ્રકારનો અભ્યાસક્રમ નિર્માણ કર્યો. જેનાથી આગળ જતાં સમાજની કુરીતિ, અન્યાય, શોષણ અને અંધશ્રધ્ધા નાબુદ કરવા ભારતનું યુવાધન સક્ષમ બને. બે કલાકનાં સંસ્કાર કેન્દ્રમાં પ્રશિક્ષિત આચાર્યો દ્વારા શૈક્ષણીક માર્ગદર્શન આપવામાં આવે છે.

 

ધોરણ ૧ થી ૭ માં ભણતાં ૫ થી ૧૨ વર્ષનાં બાળકો, અધુરા અભ્યાસવાળા બાળકો અને બિલકુલ ન ભણવા જતા બાળકોને સંસ્કાર કેન્દ્રમાં નિશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. એક કલાક શૈક્ષિણક પ્રવૃત્તિ અને બીજા એક કલાકમાં રાષ્ટ્રપ્રેમ નિર્માણ થાય એ પ્રકારના સાંસ્કૃતિક-સાહસિક કાર્યક્રમો આપવામાં આવે છે. માતૃભાષાનું ગૌરવ, ઉત્તમ સંસ્કારોનું સિંચન અને ભારતીય સંસ્કૃતિના ગૌરવનો પરિચય બે કલાકના શિક્ષણમંદિરમાં આચાર્ય દ્વારા બાળકને આપવામાં આવે છે.

“સમરસ ભારત સમર્થ ભારત”